ભગવદ્ગોમંડલ ગ્રંથ છે.

“પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી, તમારા સાહસથી હું મુગ્ધ થયો છું એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.”
— મહાત્મા ગાંધીજી (ભગવદ્ગોમંડલ ગ્રંથ વિશે)
આજે આપણે કોઈ પણ શબ્દનો અર્થ જાણવો હોય કે કોઈ વિષય પર માહિતી જોઈતી હોય, તો તરત જ મોબાઈલ કાઢીને Google પર સર્ચ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે જ્યારે દુનિયામાં ઇન્ટરનેટ કે કોમ્પ્યુટરનો આવિષ્કાર પણ નહોતો થયો, ત્યારે ગુજરાતી ભાષા પાસે પોતાનું એક 'સર્ચ એન્જિન' હતું?
ભગવદ્ગોમંડલ ગ્રંથના નવ ભાગ છે

જો તમે ગુજરાતી છો, તો આ સાહિત્યિક અજાયબી વિશે જાણવું તમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. ચાલો આજે આ લેખમાં આપણે ‘ભગવદ્ગોમંડલ’ ના ભવ્ય ઇતિહાસ, રોચક તથ્યો અને તેની વિશેષતાઓ વિશે વિગતવાર જાણીએ.
ભગવદ્ગોમંડલ શું છે (૯ ભાગ)
ભગવદ્ગોમંડલ એ માત્ર એક સામાન્ય ડિક્શનરી કે શબ્દકોશ નથી, પરંતુ તે ગુજરાતી ભાષાનો સૌથી મોટો જ્ઞાનકોશ (Encyclopedic) છે. તેમાં માત્ર શબ્દોના અર્થ જ નહીં, પરંતુ વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી અઢળક માહિતીનો સંગ્રહ છે. ભગવદ્ગોમંડલના ૯ ભાગમાં છે. પ્રથમ પ્રકાશન વર્ષ ૧૯૪૪ પુનર્મુદ્રણ વર્ષ ૧૯૮૬ અને દ્વિતીય પુનર્મુદ્રણ ૨૦૦૭ (કિંમત -ભાગ ૧ થી ૯ ના સંપુર્ણ સેટના ૧૦,૦૦૦ /-)પ્રકાશક – પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
આ ભગવદ્ગોમંડલનો પ્રથમ (૧૯૨૮ થી ૧૯૫૫) વખતે થયેલ ખર્ચની વિગત આ પ્રમાણે છે, છાપખાનામાં થયેલ કુલ ખર્ચ ૧૬૪૦૯૬.૭૧, કોષ કચેરીનો પગાર ખર્ચ કુલ ૧૦૮૩૫૩.૧૧ અને કુલ ખર્ચ ૨૭૨૪૫૦.૦૦ થયેલ છે,

આ કોશમાં કુલ પાના ૯,૨૭૦ તેમાં કુલ શબ્દ સંખ્યા ૨,૮૧,૩૭૭, કુલ શબ્દના અર્થો ૫,૪૦,૪૫૫ અને કુલ રૂઢિપ્રયોગો ૨૮,૧૫૬ છે.

આ જ્ઞાનકોશમાં દરેક શબ્દને તેનાં અનેક સ્વરૂપાંતરે સમજાવવા માટે, તેનાં શુદ્ધ ઉચ્ચાર, જોડણી, વ્યુત્પત્તિ, ધ્વનિ, અનેક અર્થોના છાયાભેદ ઉત્પત્તિની મુળ ભાષા, અર્થાંતરભેદ, સમાસવિચ્છેદ(ભેગા થયેલા શબ્દોને છુટા પાડીને તેમના સાચો સંબંધ અને અર્થ સમજાવવો), સાક્ષર લેખના તથા લોકવાણીના ઉલ્લેખ અને તેનાં ઈતિહાસની અનોખી અને ટુંકી વાતોનું વર્ણન, આ શબ્દકોષમાં છે. આ શબ્દકોષમાં જે શબ્દોના અર્થમાં જે સંકેત નિશાનીઓનો ઉપયોગ થયેલ છે, સંકેતાક્ષર અને નિશાની જેમાં વ્યુત્પત્તિના સંકેત (કોઈ શબ્દ મુળ ક્યાંથી આવ્યો છે, કેવી રીતે બન્યો છે અને તેનો મુળ અર્થ શું હતો તે દર્શાવતા ચિહ્યો અથવા પુરાવા,વ્યાકરણના સંક્ષેપ અને નિશાનીની સમજ આપવામાં આવેલ ),વ્યાકરણના સંક્ષેપઅનેનિશાનીની સમજ આપવામાં આવેલ છે.
આ કોષ માત્ર શબ્દકોષ જ નથી, પણ અનેક પ્રકારની માહિતી આપનાર માહિતીનો ભંડાર એ માહિતી કોષ પણ છે. આ શબ્દકોષમાં જુના અને જાણીતા તેમ જ નવાં શહેરો, કવિઓ, અન્ય લેખકો, ગોવર્ધન જેવા પર્વત અને મોટી મોટી નદીઓ વગેરે વિષે પણ પરિચય નોંધ આપવામાં આવી છે. શબ્દો તો એટલા જુદા જુદા એકઠા કરવામાં આવ્યા છે કે એકલા ગુજરાતી જ નહી, તેમાં પણ કઠિયાવાડી, કચ્છી અને ગામડામાં વપરાતાં શબ્દો એ ઉપરાંત જુદીજુદી ભાષાના પણ પુષ્કળ શબ્દોનો સંગ્રહ છે. ફારસી, ઉર્દુ, મરાઠી, પોર્ટુગીઝ અને અંગ્રેજી ભાષાના પણ પુષ્કળ શબ્દોને સ્થાન અપાયું છે. આમ શબ્દો તો જ્યાંથી મળે ત્યાંથી ઘણા ઘણા લેવાયા છે. શબ્દોના ઉચ્ચારભેદ, અર્થભેદ, વ્યાકરણ, ઉત્પત્તિ વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પુરાતત્ત્વ આદિ સંશોધનોથી પ્રાપ્ત થયેલી હકીકતો પણ કોષમાં સમાવેલ છે. સાથે કેટલાક ઐતહાસિક ઘટનાઓ પણ આપવામાં આવી છે. આ કોષમાં છેલ્લા ભાગમાં ચિત્રો આપવામાં આવ્યા છે આમ આ શબ્દકોષ નથી રહ્યો પણ કેટલાક અંશે જ્ઞાનસંગ્રહ બન્યો છે.

ગુજરાતીભાષાનો સુવર્ણ ઇતિહાસ: ‘ભગવદ્ગોમંડલ’ની ભગીરથ શબ્દયાત્રા
ગુજરાતી ભાષાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ એટલે ‘ભગવદ્ગોમંડલ’. આ માત્ર એક શબ્દકોશ નથી, પરંતુ આપણી માતૃભાષાની સમૃદ્ધિનો જીવંત દસ્તાવેજ છે. આ અજોડ ગ્રંથના નિર્માણ પાછળ ગોંડલના પ્રજાવત્સલ, માતૃભાષાપ્રેમી અને દીર્ઘદ્રષ્ટા રાજવી મહારાજા સર ભગવતસિંહજીની અવિરત શબ્દસાધના અને અનંત નિષ્ઠા રહેલી છે. તેમના આ અમૂલ્ય પ્રદાનના આદરમાં જ આ મહાગ્રંથનું નામ ‘ભગવદ્ગોમંડલ’ રાખવામાં આવ્યું છે.
વિચારનું બીજ અને માતૃભાષા પ્રત્યે અનન્ય ભક્તિ
ભગવદ્ગોમંડલના વિચારનું બીજ મહારાજા સર ભગવતસિંહજીના હૃદયમાં વર્ષ ૧૮૮૨ માં રોપાયું હતું. સમયની સાથે લુપ્ત થઈ રહેલા તળપદા, લોકબોલીના અને રોજિંદા વ્યવહારના શબ્દોને બચાવવા માટે તેઓ વ્યાકુળ હતા. માતૃભાષા પ્રત્યેની તેમની ભક્તિ એટલી તીવ્ર હતી કે તેમણે શરૂઆતમાં એકલા હાથે શબ્દ સંગ્રહનું ભગીરથ કાર્ય શરૂ કર્યું.
- ચાલતા–ફરતા શબ્દસાધના : મહારાજ જ્યારે પણ પ્રવાસમાં જતા, ખેડૂતો કે સામાન્ય પ્રજાજનોને મળતા, ત્યારે ગ્રામીણ
- ભાષાના અજાણ્યા અને તળપદા શબ્દો સાંભળતાં જ પોતાની ડાયરીમાં અથવા અંગરખાની બાંય (કફ) પર નોંધી લેતા.
- જ્ઞાનની કાપલીઓ: પોતાના પુસ્તકાલયમાં આવતા મહેમાનો, સાહિત્યકારો અને વિદ્વાનોની વાતચીતમાંથી પણ કોઈ નવો શબ્દ મળે તો તેની કાપલી બનાવી પાછળ ટપકાવી લેતા.
- અજોડ શોધખોળ અને રાત-દિવસનો પરિશ્રમ
આ કાર્ય માત્ર શોખ પૂરતું સીમિત નહોતું, પરંતુ એક વૈજ્ઞાનિક અને પદ્ધતિસરનું સંશોધન હતું. મહારાજા ભગવતસિંહજી અને તેમના મુખ્ય સંપાદક ચંદુભાઈ પટેલની આગેવાની હેઠળ એક સમર્પિત ટીમે કામ શરૂ કર્યું. આશરે 25 થી 30 જેટલા ગુજરાતી ભાષાપ્રેમી સાહિત્યકારો અને વિદ્વાનોએ 26 વર્ષ સુધી કોષ કચેરીમાં પોતાની અખંડ સેવાઓ આપી હતી.
- બારીકાઈથી સંશોધન: આ ટીમે ગામેગામ ફરીને, લોકબોલીઓ ઉકેલીને અને જૂના સાહિત્યને ફંફોસીને એક-એક શબ્દ એકઠો કર્યો.
- સાહિત્યનું મંથન: મહારાજાએ ગુજરાતી, અંગ્રેજી અને અન્ય ભાષાઓના મહત્વના ગ્રંથો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો, નાટકો, સિનેમાના ચોપાનિયા, જાહેર અખબારો અને સરકારી દસ્તાવેજોનું બારીકાઈથી અધ્યયન કર્યું.
- પ્રૂફ રીડિંગમાં જાતે દેખરેખ: જ્યારે આ શબ્દકોશનું છાપકામ શરૂ થયું ત્યારે મહારાજ પોતે જ તેના પ્રથમ અને બીજા પ્રૂફ જાતે તપાસતા. ઘણીવાર મોડી રાત સુધી કોષ કચેરીમાં હાજર રહીને અક્ષરે-અક્ષરની શુદ્ધતા ચકાસતા, તેઓ માત્ર શબ્દો જ નહીં, પણ તેનો અર્થ, વ્યાકરણ અને ઇતિહાસની વિગતો પણ પૂર્વગ્રહ વગર ઝીણવટપૂર્વક તપાસતા હતા.
- મુખ્ય વિશેષતાઓ અને પ્રકાશન વિગત:
- કુલ ભાગ : આ જ્ઞાનકોશ ૯ વિશાળ ભાગમાં વહેંચાયેલો છે.
- કુલ પાના : ૯,૨૭૦
- કુલ શબ્દ : ૨,૮૧,૩૭૭
- કુલ શબ્દના અર્થો : ૫,૪૦,૪૫૫
- કિંમત : કુલ ખર્ચ ૨,૭૨,૪૫૦.૦૦
- ભગવદ્ગોમંડલ એ માત્ર એક સામાન્ય ડિક્શનરી કે શબ્દકોશ નથી, પરંતુ તે ગુજરાતી ભાષાનો સૌથી મોટો જ્ઞાનકોશ (Encyclopedic) છે
- આ શબ્દકોશમાં શું નવું જોવા મળે છે?
- શબ્દનું મૂળ વર્ણન : દરેક શબ્દના શુદ્ધ ઉચ્ચાર, જોડણી, વ્યુત્પત્તિ (શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો), ધ્વનિ, અનેક અર્થોના છાયાભેદ અને ઉત્પત્તિની મૂળ ભાષા. સમાસવિચ્છેદ (ભેગા થયેલા શબ્દોને છૂટા પાડીને તેમનો સાચો સંબંધ અને અર્થ સમજાવવો.),
- ચિહ્નો અને સંકેતાક્ષર : શબ્દોના વ્યાકરણ, સંક્ષેપ અને વ્યુત્પત્તિના સંકેતો સ્પષ્ટ સમજાવતી ખાસ નિશાનીઓ., સાહિત્યિક સંદર્ભ, લોકવાણી અને સાક્ષર લેખકોના લખાણોના ટૂંકા ઉલ્લેખો અને તેના ઇતિહાસનીઅનોખી વાતો
- આજના ડિજિટલ યુગમાં ભગવદ્ગોમંડલ
આજે આ ગૌરવશાળી ગ્રંથ આપણી વચ્ચે ડિજિટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જો તમારી પાસે પુસ્તકો ન હોય, તો તમે તેની વેબસાઈટ (bhagavadgomandal.com) પર જઈને અથવા તેની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરીને કોઈ પણ ગુજરાતી શબ્દનો ઊંડાણપૂર્વકનો અર્થ મફતમાં જાણી શકો છો.
ભગવદ્ગોમંડલ એ આપણી ગુજરાતી અસ્મિતાનું પ્રતીક છે. મહારાજા ભગવતસિંહજીએ આપણને આપેલો આ વારસો અજોડ છે.
ભગવદ્ગોમંડલ આંકડાકીય વિશ્લેષણ
- ગ્રંથ પ્રમાણે શબ્દોની ગણતરી
| ભાગ | અક્ષર શ્રેણી | કુલ પાના | શબ્દ સંખ્યા | શબ્દના અર્થ | રૂઢિપ્રયોગો |
| ભાગ ૧ | અ થી અં | ૯૦૨ | ૨૬,૬૮૭ | ૫૧,૩૩૮ | ૧,૩૦૩ |
| ભાગ ૨ | આ થી ઔ | ૯૩૨ | ૨૭,૩૨૪ | ૫૬,૩૬૯ | ૩,૧૪૬ |
| ભાગ ૩ | ક થી ઙ | ૧,૨૨૬ | ૪૬,૦૨૫ | ૯૦,૬૦૦ | ૪,૬૧૪ |
| ભાગ ૪ | ચ થી તાં | ૧,૦૬૦ | ૩૧,૪૫૬ | ૬૦,૩૨૩ | ૪,૦૩૫ |
| ભાગ ૫ | તિ થી નિ | ૧,૦૧૮ | ૩૩,૪૦૮ | ૫૮,૬૦૮ | ૨,૩૭૬ |
| ભાગ ૬ | ની થી ફ | ૧,૦૧૪ | ૨૭,૯૫૯ | ૬૩,૭૧૪ | ૩,૨૮૭ |
| ભાગ ૭ | બ થી મા | ૧,૦૬૬ | ૩૦,૬૦૪ | ૬૦,૦૪૯ | ૩,૬૨૬ |
| ભાગ ૮ | માં થી વ | ૧,૦૨૬ | ૨૮,૫૭૬ | ૫૫,૫૧૨ | ૩,૭૧૮ |
| ભાગ ૯ | શ થી ળ | ૧,૦૨૬ | ૨૪,૩૩૮ | ૪૩,૯૪૨ | ૨,૦૫૧ |
| કુલ | ૯,૨૭૦ | ૨,૮૧,૩૭૭ | ૫,૪૦,૪૫૫ | ૨૮,૧૫૬ |
- ગ્રંથ પ્રમાણે થયેલ ખર્ચની ગણતરી
સાલ (વર્ષ) | ભાગ | છાપખાનાનું થયેલ ખર્ચ | કોષ કચેરીનું પગાર ખર્ચ | કુલ પ્રત | કુલ પ્રતનું ખર્ચ | છાપામણી અને કાગળની ખર્ચ પુરતી વેચાણ કિંમત |
| સને ૧૯૨૮ થી ૧૯૩૮– (વર્ષ – ૧૦) | ૧ | ૧૦૮૦૬.૨૫ | ૨૯૫૨૩.૩૨ | ૫૦૦ | ૪૦૬૨૫.૫૭ | ૧૫.૦૦ |
| સને ૧૯૩૮ થી ૧૯૪૪– (વર્ષ – ૬) | ૨ | ૧૪૨૪૫.૧૩ | ૯૪૧૬.૭૫ | ૫૦૦ | ૨૩૬૧૨.૫૨ | ૧૫.૦૦ |
| સને ૧૯૪૪ થી ૧૯૪૬– (વર્ષ – ૨) | ૩ | ૧૨૧૮૧.૧૪ | ૭૫૯૫.0૬ | ૫૦૦ | ૧૯૭૭૬.૧૫ | ૨૪.૦૦ |
| સને ૧૯૪૬(ઑગષ્ટ) થી ૧૯૪૮– (વર્ષ – ૧, માસ- ૮) | ૪ | ૧૩૨૩૦.૧૫ | ૫૩૦૮.૧૫ | ૫૦૦ | ૧૮૫૩૯.૦૭ | ૧૬.૦૦ |
| સને ૧૯૪૮ (એપ્રિલ) થી ૧૯૪૯– (વર્ષ – ૧,માસ- ૯) | ૫ | ૨૪૨૪૭.૧૦ | ૧૪૩૨૦.૧૨ | ૫૦૦ | ૩૮૫૬૮.૭૦ | ૧૫.૦૦ |
| સને ૧૯૫૦(જાન્યુઆરી) થી ૧૯૫૧(ઑગષ્ટ) – (વર્ષ – ૧૦, માસ- ૮) | ૬ | ૧૯૫૮૨.૫૧ | ૧૯૬૯૦.૧૩ | ૫૦૦ | ૩૯૨૭૩.૨૭ | ૧૫.૦૦ |
| સને ૧૯૫૧(ઑગષ્ટ) થી ૧૯૫૩(જાન્યુઆરી)– (વર્ષ – ૧,માસ-૬) | ૭ | ૧૭૩૫૮.૧૫ | ૧૩૨૨૪.૫૦ | ૫૦૦ | ૩૦૫૮૨.૪૦ | ૧૬.૦૦ |
| સને ૧૯૫૩(જાન્યુઆરી) થી ૧૯૫૩(ડિસેમ્બર)– (વર્ષ – ૧) | ૮ | ૨૧૧૮૦.૦૦ | ૩૮૨૦.૦૦ | ૫૦૦ | ૨૫૦૦૦.૦૦ | ૧૫.૦૦ |
| સને ૧૯૫૪(જાન્યુઆરી) થી ૧૯૫૪(ડિસેમ્બર– (વર્ષ – ૧) | ૯ | ૨૫૪૦૦.૦૦ | ૩૬૦૦.૦૦ | ૫૦૦ | ૨૯૦૦૦.૦૦ | ૧૫.૦૦ |
તમારો અભિપ્રાય: શું તમે ક્યારેય ભગવદ્ગોમંડલ પુસ્તક જોયું છે અથવા તેની વેબસાઈટનો ઉપયોગ કર્યો છે? તમને આ માહિતી કેવી લાગી, તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો!
- માહિતી સોર્સ: ભગવદ્ગોમંડલ પુસ્તક
- પુસ્તક સાભાર: પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- ફોટોગ્રાફ્સ: બ્લોગર (સ્વ–હસ્તે લીધેલાઅને એક ફોટો AI થી તૈયાર કરેલ છે.)